રાજકોટ : રાજકોટ શહેરમાં વધુ એક કારખાનેદારે આર્થિક સંકળામણની પરિસ્થિતિથી આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે. ગળે ફાંસો ખાધા પહેલા સુસાઇડ નોટમાં કારખાનેદારે જણાવ્યું છે કે, કોરોનાથી નથી મર્યા એટલા લોકો લૉકડાઉનથી (lockdown)મર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના દેવપરા શાક માર્કેટ પાસે રહેતા અને વિવેકાનંદ નગરમાં અગાઉ કારખાનું ધરાવતા વિરેન્દ્ર ભાઇ નામના વ્યક્તિએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. વિરેન્દ્ર ભાઈએ જ્યારે પોતાના ઘરે ઉપરના માળે ગળે ફાંસો ખાધો ત્યારે તેમના પત્ની નીચે હતા. વિરેન્દ્ર ભાઈની પત્નીએ ઉપર જઇને જોતા રૂમનો દરવાજો બંધ હતો છતાં નહીં ખુલતા તોડીને જોતા પતિની લાશ લટકતી જોવા મળી હતી.
રાજકોટ : આત્મહત્યા પહેલા સુસાઇડ નોટમાં લખ્યું-કોરોનાથી નથી મર્યા એટલા લોકો લૉકડાઉનથી મર્યા છે
પતિની લાશ લટકતી જોયા બાદ પત્નીએ દેકારો કરી મૂકતાં આડોશ પાડોશના લોકો એકઠા થઇ ગયા હતા અને ત્યારબાદ 108ને જાણ કરતા 108ની ટીમ દ્વારા ઘટના સ્થળ પર પહોંચીને વિરેન્દ્ર ભાઇને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલે બનાવની જાણ ભક્તિનગર પોલીસને થતા ભક્તિનગર પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ત્યારબાદ જરૂરી પંચનામાની કાર્યવાહી કરી લાશને પોસ્ટમોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં માહિતી મળી છે કે મૃતક બે ભાઈ અને બે બહેન માં સૌથી મોટા હતા. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. લૉકડાઉનમાં કારખાનું બંધ થઈ ગયા બાદ તે ગઢડા ઘરઘંટીના કારખાનામાં કામે જતા હતા. તે કામ પણ બંધ થઈ જતા આર્થિક સંકળામણ ઊભી થતાં આપઘાતનું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. વિરેન્દ્રભાઈએ આત્મહત્યા કરતા પહેલા સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, કોરોનાથી નથી મર્યા એટલા લોકો લૉકડાઉનથી મર્યા છે. પરિવારના મોભીના આત્મઘાતી પગલાના કારણે ત્રણ સંતાનોએ વ્હાલસોયા પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે.undefined